બે સપ્તાહ પૂર્વે ચંદ્રગ્રહણ બાદ હવે આવતીકાલે તારીખ ૨૯મી માર્ચે શનિવારે સૂર્યગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ ખંડગ્રાસ એટલે કે અંશતઃ થશે અર્થાત્ ધરતી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવતા સૂર્યનો આંશિક ભાગ ઢંકાશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેથી તેનું સૂતક પળાશે નહીં. ગ્રહણના દિવસે જ શનિ અમાવસ્યા (શનિવારે આવતી અમાસ) અને આ દિવસે જ શનિગ્રહ કુંભ રાશિમાંથી આશરે અઢી વર્ષ બાદ મીન રાશિમાં પ્રવેશી રહ્યા છે. આમ આ દિવસ ખગોળશાસ્ત્ર અને ધાર્મિક પરંપરા મૂજબ મહત્વનો રહેશે.
સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય તેના બે સપ્તાહ પહેલા કે પછી થતું હોય છે. માન્યતાઓને પડતી મુકો તો પણ ખગોળીય ઘટના ઘણી રસપ્રદ હોય છે. ગ્રહણ ગુજરાતમાં સ્થાનિક સમય મૂજબ બપોરના 2:20 વાગ્યે શરૂ થશે, સાંજે 4:17 વાગ્યે મહત્તમ હશે અને સાંજે 6:17 વાગ્યે પૂર્ણ થશે. પરંતુ, આ વખતે સૂર્ય-પૃથ્વી અને ચંદ્રના અવકાશમાં લોકેશન મૂજબ તે ભારત સહિત અનેક દેશોમાં દેખાશે નહીં, રશિયા, આફ્રિકા સહિત દેશોમાં તે જોવા મળશે. આ દિવસે શનિ અમાવસ્યા સાથે શનિદેવનું રાશિ પરિવર્તન હોવાથી હનુમાનજીના મંદિરો,શનિદેવના મંદિરોએ ભાવિકોની સંખ્યા વધુ રહેવાની સંભાવના છે. સરસવનું તેલ અને કાળા તલ ચડાવવામાં આવશે. આ દિવસથી સિંહ અને ધન રાશિમાં અઢી વર્ષની પનોતી શરૂ થશે ઉપરાંત અન્ય રાશિમાં પનોતી જારી રહેશે અને ફળકથનો અનુસાર આ પનોતીના સમય પણ ઘણીવાર લાભકર્તા રહે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500