ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લામાં ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકામાં અનેક ધોધ સોળે કલાએ ખીલી ઉઠે છે સાથે ડુંગરોએ પણ લીલી ચાદર ઓઢી હોય અને તેને અડીને વાદળો પસાર થતા હોય એ મનમોહક દ્રશ્યને માણવાનો લ્હાવો અનેરો હોય છે. લોકો સ્વખર્ચે આવા સ્થળે રજાના દિવસોમાં હરવા ફરવા માટે જતા હોય છે પરંતુ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પર્યટકોને સરળતા પડે તે માટે રવિવારે રજાના દિવસે વલસાડ અને ધરમપુર એસટી ડેપોથી ધરમપુર અને કપરાડા તાલુકાના પર્યટન સ્થળો માટે ખાસ બસ સેવા શરૂ કરી છે. તા. ૯ જુલાઈને રવિવારે આ સેવાનો વિધિવત પ્રારંભ થતા કુલ ૧૨૦ લોકોએ લાભ લીધો હતો.
પ્રવાસન ક્ષેત્રે વધુને વધુ વેગ મળે અને પ્રવાસીઓને સરળ સુવિધા પુરી પાડી શકાય તે હેતુથી વલસાડ એસ.ટી.વલસાડ દ્વારા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ કુદરતી સૌંદર્યના સ્થળોને આવરી લઇ દર રવિવારે બે બસ શરૂ કરવામાં આવી છે. આ બસ દર રવિવારે વલસાડ ડેપોથી સવારે ૭-૩૦ અને ૯-૦૦ કલાકે ઉપડશે જે વલસાડ થી મોટી કોરવડ (સુલીયા ડુંગર) વાયા ધરમપુર ચોકડી - રોણવેલ – વાંકલ- પીપરોળ (વેલી વ્યુ) -વિલ્સન હિલ - શંકરધોધ થઈ મોટી કોરવડ સુલીયા ડુંગર પહોંચશે. જે અનુક્રમે ૧૧-૦૫ અને ૧૨.૩૫ વાગ્યે પહોંચશે. જ્યારે મોટી કોરવડના સુલિયા ડુંગરથી પરત વલસાડ આવવા માટે ૧૧-૪૦ કલાકે ઉપડનારી બસ ૧૪.૨૦ કલાકે અને ૧૩.૧૦ કલાકે ઉપડતી બસ બપોરે ૧૫-૫૦ કલાકે વલસાડ એસ ટી ડેપો પર પરત આવી પહોંચશે. પર્યટન સ્થળ માટેની ખાસ બસ સેવા લોકલ ભાડાના દરે શરૂ કરવામાં આવી છે. જેમાં વલસાડથી સુલિયા ડુંગરનું સીધુ લોકલ ભાડુ રૂ. ૪૮ રહેશે.
ધરમપુરના ધારાસભ્યશ્રી ધરમપુર અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમીલાબેન, વલસાડના પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, ધરમપુરના પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયાની ઉપસ્થિતિમાં બસ સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. પ્રથમ રવિવારે સવારે ૭-૩૦ની બસનો ૫૭ અને સવારે ૯-૦૦ કલાકની બસનો ૬૩ પર્યટકોએ લાભ લઈ ધરમપુર-કપરાડાના પ્રવાસન સ્થળોને મન ભરીને માણ્યા હતા. આ બસોનું દર રવિવારનું બુકિંગ નિગમની વેબ સાઈટ www.gsrtc.in પરથી ઓનલાઈન કરી શકાય તે માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
વલસાડ એસટી ડેપોના મેનેજર અનિલભાઈ અટારાએ જણાવ્યું કે, પ્રવાસીઓ માટે ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પીપરોળ ખાતે ગાઈડ તરીકે ભાવેશભાઈ મો.નં. ૭૮૭૪૮૭૮૪૧૯ અને રવિભાઈનો મો.નં. ૯૦૧૬૦૦૯૧૨૦ પર અને મોટી કોરવળ ખાતે પરશુભાઈનો મો.નં. ૯૩૨૭૨૮૩૩૪૪ પર સંપર્ક કરવાનો રહેશે. આ સિવાય ટુરિસ્ટો માટે વોશરૂમની પણ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. જે મુજબ શંકરધોધ અને મોટી કોરવળમાં મોબાઈલ ટોઈલેટ બ્લોક, ધરમપુર પેટ્રોલ પંપ પાસે, ધરમપુર બસ સ્ટેન્ડ, પિંડવળ સીએચસી અને વિલ્સન હિલ પર શૌચાલયની સુવિધા પણ પર્યટકો માટે ગોઠવાઈ છે.
વલસાડ એસટી ડેપોથી ઘરમપુર-પીપરોળ, વિલ્સન હિલ, શંકરધોધ અને સુલિયા ડુંગર સુધી જવાનો કુલ ૯૧.૨૧ કિમીનો રૂટ છે. જે માટે વલસાડ-પીપરોળ (અભિનાથ મહાદેવ) સુધી રૂ. ૩૨, વલસાડ થી વિલ્સન હિલ રૂ. ૩૫, વલસાડ થી શંકર ધોધ રૂ. ૩૭, વલસાડથી સુલીયા ડુંગર રૂ. ૪૮નું ભાડુ ચૂકવવુ પડશે. આ સિવાય ધરમપુરથી પીપરોળ (અભિનાથ મહાદેવ) સુધી રૂ. ૧૯, ધરમપુરથી વિલ્સન હિલનું રૂ. ૨૪, ધરમપુરથી શંકરધોધનું રૂ. ૨૭ અને ધરમપુરથી સુલિયા ડુંગરનું ભાડુ રૂ. ૩૭ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025