આણંદના સોજીત્રા તાલુકાના ઈસણાવ ગામના આરોપીએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ગર્ભવતી બનાવતા બાળકને જન્મ આપ્યો હતો. આ કેસમાં પેટલાદ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીને 35 હજારનો દંડ પણ કર્યો છે. જ્યારે પીડિતાને રૂ.3 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. મળતી માહિતી મુજબ, સોજીત્રા તાલુકાના ઈસણાવ વાંટાપુરામાં રહેતા મહેન્દ્ર અમરસિંહ પરમાર ગત તા.૧૦-૫-૨૦૨૩ના રોજ ૧૫ વર્ષ અને ૮ મહિનાની સગીરાને લલચાવી, પટાવી ફોસલાવી દુષ્કર્મના ઈરાદે બાઈક પર અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી.
તારીખ ૨૯-૫-૨૦૨૪ નારોજ ભોગબનનાર પીડિતાએ બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ બોરસદ તાલુકાના કઠાણા ગામના ચબૂતરી તલાવડી ખાતે રહેતા સંજય સોમાભાઈ સોલંકી અને તેની પત્ની તેજલબેને ભોગબનનાર પીડિતાનું અપહરણ કરીને લાવ્યો હોવાનું અને પીડિતા સગીરા હોવાનું જાણવા છતાં દંપતીએ મહેન્દ્ર પરમારને મદદ કરી હતી. મહેન્દ્ર પરમાર અને પીડિતાને દંપતીએ પોતાના ઘરમાં આશરો આપી ગુનો આચર્યો હતો. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ મહેન્દ્ર અમરસિંહ પરમાર, સંજય સોમાભાઈ સોલંકી અને તેની પત્ની તેજલબેનને તા. ૨૦-૬-૨૦૨૪ના રોજ ધરપકડ કરી લીધી હતી.
બાદમાં આરોપી સામે પોક્સો, બળાત્કાર સહિતની કલમો હેઠળ આરોપી સામે ગુનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશિટ રજૂ કરી હતી. આ કેસ પેટલાદના સ્પેશ્યલ જજ અને અધિક સેશન્સ જજ ઝંખના વી. ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા અપહરણકર્તા અને દુષ્કર્મ આચરનારા મુખ્ય આરોપી મહેન્દ્ર અમરસિંહભાઈ પરમારને વિવિધ કલમો હેઠલ કોર્ટે તકસીરવાન ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને બે, પાંચ અને ૨૦ વર્ષની સખદ કેદની સજા ફટકારી છે. વિવિધ કલમો હેઠળ આરોપીને કુલ ૩૫ હજારનો દંડ પણ ફટકાર્યો છે. આરોપીને કરવામાં આવેલી તમામ સજા એક સાથે ભોગવવા પણ કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે ભોગબનનારી પીડિતાને યોજના મુજબ રૂા. ૩ લાખ વળતર ચૂકવવાનું પણ જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500